Mosam Trivedi
ગુજરાતનાં અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી
સમુદાયના શિક્ષણ માટેના પ્રયાસો સ્વાતંત્ર્ય પહેલાંના સમયગાળાથી થતાં આવ્યા છે.
આમછતાં પરંપરાગત વ્યવસાય અને મર્યાદિત આવકના સાધનોને પરિણામે તેમણે ઉચ્ચશિક્ષણ
સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે. ટાંચા સાધનો અને સુવિધાઓના અભાવમાં જે કોઈપણ
શિક્ષણ મેળવે છે તેમાં વિનયન પ્રવાહના શિક્ષણનું પ્રમાણ વધુ હોય છે. વળી તેમાંય છોકરીઓ
મોટા પ્રમાણમાં અભ્યાસ કરવા આવતી હોય છે. વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટીના
સમાજશાસ્ત્ર વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ મોટાપ્રમાણમાં
આદિવાસી સમુદાયમાંથી આવતા હોય છે. આવા સમયે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતી આ આદિવાસી
વિદ્યાર્થીનીઓ તેમના કુટુંબની પહેલી પેઢીની દિકરીઓ હોવાનું જાણવા મળ્યું. ત્યારે
ઉચ્ચશિક્ષણ સુધી પહોંચતી આદિવાસી વિદ્યાર્થીનીઓના કુટુંબની સામાજિક અને આર્થિક
સ્થિતિ જાણવી જરૂરી બની જાય છે. ઉપરાંત અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓને
શિષ્યવૃતિની સહાય મળતી હોવાછતાં ફી ઉપરાંત અન્ય શૈક્ષણિક જરૂરિયાતને પહોંચી વળવા
અને કુટુંબને મદદરૂપ બનવા વિવિધ ઘરેલું કાર્યોની સાથે ખેતી કે અન્ય આર્થિક ઉપાર્જન
કરી શકે એવા છૂટક મજૂરીના કાર્યો કરવા પડતાં હોય છે. આમ વિદ્યાર્થીકાળથી જ આ
વિદ્યાર્થીનીઓ શ્રમનું મહત્વ સમજતી થઈ ગઈ હોય છે. તેથી શિક્ષણ મેળવવા તેમના સંઘર્ષને
સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમજવો આવશ્યક છે. પ્રસ્તુત સંશોધન આ દિશામાં કરેલ એક
નાનકડો પ્રયાસ છે.
ઉચ્ચ શિક્ષણ, આદિવાસી વિદ્યાર્થીનીઓ, સામાજિક ગતિશીલતા, ખેતમજૂરી, જીવનસંઘર્ષ
VOL.16, ISSUE No.3, September 2024